આઈપીએલમાં ૧૮ વર્ષે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ફાઈનલ જીત્યા પછી બેંગલુરુમાં વિજય પરેડ સમયે થયેલી ધક્કા-મુક્કીમાં ૧૧ લોકોના મોત નિપજ્યા હતા. આ બનાવના પગલે સમગ્ર દેશમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આ કેસમાં પોલીસે આરસીબી અને ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ડીએનએ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડના ચાર અધિકારીઓની ધરપકડ કરી હતી.
ત્યારે આ કેસમાં હવે આરસીબીની ખેલાડી વિરાટ કોહલી સામે પણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. વિરાટ કોહલી વિરૂદ્ધમાં બેંગલુરુના કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે.
આ ફરિયાદ વરિષ્ઠ સામાજિક કાર્યકર્તા એચ.એમ. વેંકટેશ દ્વારા નોંધાવવામાં આવી છે. આ મામલે પોલીસ વિભાગ દ્વારા સ્પષ્ટીકરણ લેટર પણ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, વેંકટેશ દ્વારા નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદને લઈને તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.