અમદાવાદમાં આજે (12 જૂન) બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત 240થી વધુ લોકોના મોત નીપજ્યા છે. આ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુ:ખદ નિધન થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. વિજય રૂપાણીના નિધનના સમાચારથી ગુજરાતના રાજકીય વર્તુળમાં શોકનો માહોલ છવાયો છે. ભાજપ, કોંગ્રેસથી લઈ અન્ય રાજકીય પક્ષોના નેતાઓએ વિજય રૂપાણીના નિધનને લઈ દુખ વ્યક્ત કર્યું છે. પૂર્વ CM પોતાની દિકરીને લંડન મળવા જઈ રહ્યા હતા. તેમજ આ પ્લેનમાં તેઓ પરિવાર માંથી એકલા સવાર હતા.
વિજય રૂપાણીનો જન્મ માયાબેન અને રમણીકલાલ રૂપાણીને ત્યાં મ્યાનમારના યાંગોનમાં જૈન વાણિયા પરિવારમાં થયો હતો. વિજયભાઈ રમણીકલાલભાઈ રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956ના રોજ થયો હતો. તેઓ દંપતીના સાતમા અને સૌથી નાના પુત્ર હતા.બર્મામાંથી તેમનો પરિવાર 1960માં રાજકોટ સ્થળાંતર થયો હતો.
તેમણે ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાંથી બેચલર ઓફ આર્ટ્સ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એલએલબીનો અભ્યાસ કર્યો હતો. તે એક ભારતીય રાજકારણી હતા. જેમણે 2016 થી 2021 સુધી બે ટર્મ માટે ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ રાજકોટ પશ્ચિમનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાત વિધાનસભાના સભ્ય હતા.તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય હતા.
વિજય રૂપાણીના લગ્ન અંજલિ સાથે થયા છે, જે ભાજપ મહિલા પાંખના સભ્ય પણ છે. આ દંપતીને એક પુત્ર, ઋષભ, જે એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે, અને એક પુત્રી, રાધિકા, જે પરિણીત છે. આ દંપતીએ તેમના સૌથી નાના પુત્ર પુજીતને અકસ્માતમાં ગુમાવ્યો અને ચેરિટી માટે પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ શરૂ કર્યું છે.