ગુરુવારે 12 જૂનના રોજ થયેલા અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પ્રચંડ આગ લાગીને વિસ્ફોટ થતાં મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 242 મુસાફરો પૈકી 241ના મોત થયા હતા. જ્યારે પ્લેન જે સ્થળે ક્રેશ થયું હતું ત્યાં પણ મોટી જાનહાનિ થવા પામી હતી. આ અકસ્માતનો ભોગ બનેલા લોકોના મૃતદેહ એટલી હદે બળી ગયા છે કે તેમની ઓળખાણ કરવી અશક્ય છે. તે સ્થિતિમાં આ મૃતદેહોની ઓળખાણ DNA ટેસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે.શું છે DNA મેચિંગ ટેસ્ટ ? કેવી રીતે થાય છે DNA મેચિંગ ટેસ્ટ દ્વારા સ્વજનોની ઓળખ ? કયા પ્રકારના સેમ્પલ લેવામાં આવે છે ? સેમ્પલનું પરીક્ષણ કેવી રીતે કરવામાં આવે છે? ચાલો સમજીએ.
DNA પરીક્ષણ માટે પહેલા નમૂના લેવામાં આવે છે. લોહી, વાળ, નખ, ત્વચા, ઝીભ, દાંતની અંદરની કોશિકા લેવામાં આવે છે.
DNA ટેસ્ટ શું છે ?
ડીએનએ એટલે કે ડીઓક્સીરીબોન્યુક્લીક એસિડ, જે એક વૈજ્ઞાનિક પરીક્ષણ છે. આ પ્રકારના પરીક્ષણ આપણા જનીનો અથવા પૂર્વજો વિશે ખૂબ જ સચોટ માહિતી આપે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આપણા શરીરમાં લાખો કોષ હોય છે. લાલ રક્ત વાહિનીઓ સિવાય, અન્ય તમામ કોષમાં પણ એક આનુવંશિક કોડિંગ હોય છે. આ આનુવંશિક કોડિંગ એ જ ડીએનએ છે. સાદી ભાષામાં કહીએ તો, ડીએનએ સીડીની જેમ એક તરફ વળેલું હોય છે.
મૃતદેહોમાંથી નમૂના કેવી રીતે લેવામાં આવે છે?
ખરાબ રીતે બળી ગયેલા શરીરમાંથી DNA લેવા માટે માટે હ્યુમરસ અથવા પાંસળી જેવા હાડકાંના નમૂના લેવામાં આવે છે. આ ઉપરાંત દાંત અથવા બાકીના પેશીઓ પણ ખૂબ ઉપયોગી છે. હાડકાં અને દાંત વધુ મહત્વપૂર્ણ છે કારણ કે ઊંચા તાપમાને પણ તેમાં DNA સચવાય છે.
પરિવારજનોના સેમ્પલ
ત્યારબાદ સંબંધીઓ પાસેથી લોહી, લાળ અથવા ગાલના કોષો (બકલ સ્વેબ) લેવામાં આવે છે. આ નમૂનાઓનો ઉપયોગ મૃતકના DNA સાથે મેચ કરવા માટે કરવામાં આવે છે.
સેમ્પલની સફાઇ અને તૈયારી: બળી ગયેલા શરીરમાંથી DNA લેવું અત્યંત મુશ્કેલ છે કારણ કે હાઈ ટેમ્પરેચર અને કેમિકલ DNAનો નાશ કરી શકે છે. આ સ્થિતિમાં કચરો અથવા સૂક્ષ્મજીવો જેવા બાહ્ય દૂષણોને દૂર કરવા માટે નમૂનાને પહેલા સાફ કરવામાં આવે છે. આ માટે નમૂનાને નળના પાણી અને 100% ઇથેનોલથી ધોવામાં આવે છે. હાડકાં અને દાંતને પીસીને પાવડર બનાવવા માટે જંતુરહિત સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે.
હાડકાંમાંથી DNA કેવી રીતે કાઢવામાં આવે છે?
DNA લેવા માટે ઓર્ગેનિક એકસટ્રેકશન પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. આ હેઠળ નમૂનાને રાસાયણિક લિક્વિડમાં મેળવીને DNAને અલગ કરવામાં આવે છે. અમદાવાદ અકસ્માતમાં 1.25 લાખ લિટર બળતણના આગથી મૃતદેહો પ્રભાવિત થયા હતા. આ સ્થિતિમાં DNAની ગુણવત્તા પર અસર થઈ શકે છે. જોકે બળી ગયેલા અવશેષોમાંથી DNA લેવામાં નવી ટેકનિક સફળ રહી છે.
પરીક્ષણ માટે કેટલા DNAની જરૂર છે?
લેવામાં આવેલા DNAની માત્રા અને ગુણવત્તા રીઅલ-ટાઇમ પીસીઆર (પોલિમરેઝ ચેઇન રિએક્શન) દ્વારા તપાસવામાં આવે છે. આવી સ્થિતિમાં સૌ પ્રથમ ખાતરી કરવામાં આવે છે કે DNA પરીક્ષણ માટે પૂરતું છે કે નહીં.
DNA પ્રોફાઇલિંગ કેવી રીતે કરવામાં આવે છે?
DNA પ્રોફાઇલિંગમાં શોર્ટ ટેન્ડમ રિપીટ્સ (STR) ની તપાસ કરવામાં આવે છે. આ DNAના એવા ભાગો છે જે દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે. આ પછી એક DNA પ્રોફાઇલ તૈયાર કરવામાં આવે છે. અમદાવાદ અકસ્માતમાં લગભગ 1000 DNA પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે. જેમાં મૃતકો અને તેમના સંબંધીઓના નમૂનાઓનું મેચિંગ શામેલ છે.