ઈઝરાયેલ દ્વારા ઈરાનના પરમાણું અને લશ્કરી મથકો પર મોટાપાયે લશ્કરી કાર્યવાહી શરૂ કર્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. ઈરાને પણ ઈઝરાયલ પર હુમલા શરૂ કરી દીધા છે. આવી સ્થિતિમાં વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવોમાં ૭થી ૮ ટકાનો ઉછાળો નોંધાતા, હવે જે.પી.મોર્ગને ચેતવણી આપી છે કે, જો મધ્ય પૂર્વમાં જીઓપોલિટીકલ ટેન્શન વધુ વધશે તો ઓઈલના ભાવ પ્રતિ બેરલ ૧૨૦ ડોલર સુધી વધી શકે છે. ઈઝરાયલે 12 જૂને ઇરાનના પરમાણુ અને બેલિસ્ટિક મિસાઇલ પ્રોગ્રામને નિશાન બનાવીને હુમલો કર્યો. આ પછી, ઓઈલના ભાવમાં અચાનક વધારો થયો.
આનું કારણ એ છે કે ઈરાન વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઓઈલ ઉત્પાદક દેશ છે. ઈરાનની જિયોલોજિકલ સ્થિતિ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે હુમલાના સમાચાર મળતાની સાથે જ બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ 10% વધીને 78 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયો. યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) પણ 10% વધીને 74 ડોલરને પાર કરી ગયો. તેમાં આગળ પણ વધારો થવાની ધારણા છે.
જોકે, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવની ભારતના અર્થતંત્ર પર કોઈ મોટી અસર નહીં પડે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ આ વાત કહી છે. તેમણે કહ્યું કે જો આ લડાઈ વધુ વધશે તો ભારતને વધુ નુકસાન થઈ શકે છે. સરકાર આ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.અધિકારીએ સ્વીકાર્યું કે આ યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થઈ શકે છે. શેરબજારમાં પણ વધઘટ થઈ શકે છે. રૂપિયાના મૂલ્યમાં પણ ઘટાડો થઈ શકે છે. જહાજો દ્વારા માલ મોકલવાનો ખર્ચ પણ વધી શકે છે. અધિકારીએ કહ્યું કે ભારત પર આની શું અસર પડશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે.