ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાના અને મધ્યમ વર્ગના પરિવારોને મોટી રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે રહેણાંક મકાનોના ટ્રાન્સફર માટે ભરપાઈ થતી સ્ટેમ્પ ડ્યુટીની માત્ર 20% રકમ વસૂલ થશે અને બાકી 80% સુધી માફ કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નાના અને મધ્યમ વર્ગીય પરિવારો- લોકોને આવાસ તબદીલીઓ માટે ભરવા પાત્ર ડ્યુટીની રકમમાં મોટી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. સોસાયટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા અલોટમેન્ટ લેટર – શેર સેર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી – ટ્રાન્સફર્સ માટે ભરવા પાત્ર ડ્યુટીની ૮૦ ટકા સુધીની ડ્યુટી રકમ માફ કરાશે, એટલે કે માત્ર 20 ટકા જેટલી ડ્યુટી વસૂલ કરવામાં આવશે.
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ અધિનિયમમાં કરેલી જોગવાઈઓના કારણે મધ્યમ વર્ગના લોકો ઉપર આવા તબદીલીના કિસ્સાઓમાં જે નાણાંકીય બોજ આવતો હતો તે સમગ્ર વિષયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવા નાના મધ્યમ વર્ગીય લોકોની રજૂઆતો પ્રત્યે સંવેદના દાખવીને હકારાત્મક અભિગમ અપનાવ્યો છે.