દેશમાં દર પાંચ વર્ષે પશુઓ અને રખડતા પ્રાણીઓની ગણતરી થાય છે. વર્ષ 2019માં થયેલી ગણતરી મુજબ શ્વાનની સંખ્યા 1.53 કરોડ હતી. વર્ષ 2012ની તુલનામાં તેમાં ઘટાડો થયો છે, 2012માં આ સંખ્યા 1.71 કરોડ હતી. 2019 થી 2022 દરમ્યાન શ્વાન કરડવાના 1.5 કરોડ કેસ સંસદમાં ભારત સરકાર તરફથી રજુ કરવામાં આવ્યા હતા. અર્થાત દરરોજ સરેરાશ લગભગ 10 હજાર કેસ નોંધાય છે. 2022માં એકલા દિલ્હીમાં જ શ્વાન કરડવાનાં 5559 કેસ નોંધાયા હતા.
ગુજરાતમાં પણ રખડતા શ્વાનનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં રખડતા શ્વાન, રખડતા ઢોર અડીંગો જમાવીને બેઠા છે. ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં કુલ 12,55,066 લોકોને શ્વાન કરડવાની ઘટનો સામે આવી છે. વર્ષ 2022-23માં શ્વાન કરડવાના બનાવની વાત કરવામાં આવે તો 1 લાખ 14 હજારથી વધુ શ્વાન કરડવાના બનાવો બન્યા છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 8 નગરિકોના મૃત્યુ પણ થયા છે.
ગુજરાતમાં પણ વધ્યા શ્વાનના હુમલા
ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનના હુમલાઓ સામે આવ્યા છે. શહેરમાં હાલ ૩.૭૫ લાખ જેટલી શ્વાનની વસ્તી છે. ત્રણ વર્ષમાં શ્વાન કરડવાનાં ૧.૬૩ લાખથી વધુ બનાવ બનવા પામ્યા છે. હાલમાં શહેરમાં રખડતા શ્વાન કરડવાના રોજ ૨૦૦ બનાવ બની રહયા છે. શ્વાન કરડવાના વર્ષ-૨૦૨૦માં ૫૨,૩૧૮, વર્ષ-૨૦૨૧માં ૫૧૮૧૨ અને વર્ષ-૨૦૨૨માં ૫૯૫૧૩ કેસ મળી ત્રણ વર્ષમાં શ્વાન કરડવાના કુલ ૧,૬૩,૬૪૩ કેસ માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં નોંધાવા પામ્યા છે. ખાસ કરીને નાના બાળકો અને બાળકીઓ પર શ્વાન દ્વારા હુમલા કરવામાં આવ્યા હોવાની ઘટનાઓ વધી છે.
વધતા જતા શ્વાનના હુમલાઓ બાબતે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને છેલ્લા ત્રણ વર્ષમાં શ્વાનનું ખસીકરણ કરવા ૨૦૨૦-૨૧ માં ૨.૩૦ કરોડ, ૨૦૨૧-૨૨ માં ૨.૫૬ કરોડ અને ૨૦૨૨-૨૩ માં ૪.૫૦ કરોડ રૂપિયા મળી કુલ ૯.૩૬ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. જોકે તેમ છતાં અમદાવાદ શહેરમાં શ્વાનના ત્રાસ બાબતે વિવિધ બનાવો સતત સામે આવી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે, દર વર્ષે 28 સપ્ટેમ્બરના વિશ્વ હડકવા (રેબીસ) દિવસ ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે શ્વાન સહિત અન્ય પશુ-પ્રાણીઓના કરડવાથી મનુષ્યમાં હડકવા થવાની સંભાવના છે. હડકવા એક પ્રકારના વાયરસથી ફેલાય છે. પ્રાણીઓની લાળમાં એના વાયરસ રહેલા હોય છે. જયારે પ્રાણી કોઇ મનુષ્યને કરડે તેનામાં હડકવાના કોઇ લક્ષણ દેખાતા ન હોય, પરંતુ જો એની લાળમાં હડકવાના વાયરસ હોય તો જે કોઇ વ્યકિતને કરડે ત્યારે તેના શરીર પર ઘાવ બને અને તે ઘાવમાં લાળમાંથી હડકવાના વાયરસ વ્યકિતના શરીરમાં દાખલ થઇ જાય છે.