ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોનો રાફડો ફાટ્યો છે. કેટલીક ખાનગી હોસ્પિટલોએ તો સારવારનાં નામે જાણે લૂંટ મચાવી હોય તેમ લાગે છે. લાખો રૂપિયા ખર્ચ્યા પછી પણ હોસ્પિટલની બેદરકારીનાં લીધે દર્દી મૃત્યુ પામે છે. ત્યારે વધુ એક ખાનગી હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીનાં મોત બાદ પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને તોડફોડ કરી હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ પણ કર્યા હતા. આ ઘટના બાદ રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી છે.
મૃતકના નામ
સેનમા નાગરભાઈ મોતીભાઈ (ઉંમર 70 વર્ષ)
બારોટ મહેશભાઈ ગીરધર ભાઈ (ઉંમર 50 વર્ષ)
દર્દીઓના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, “આ હોસ્પિટલમાંથી પરિવારને જાણ કર્યા વગર જ દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યાં છે. જેમાં બે લોકોનાં મોત નીપજ્યા છે. સરકારી યોજનામાંથી રૂપિયા કમાવવા માટે આ લોકોએ અમને જાણ કર્યા વગર ઓપરેશન કરીને અમારા સ્વજનોના જીવ સાથે ચેડા કર્યા છે.” નોંધનીય છે કે, આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ ઘટનામાં તપાસનાં આદેશ આપ્યા છે.
સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો, હોસ્પિટલ દ્વારા 10 નવેમ્બરનાં રોજ મહેસાણા (Mehsana) જિલ્લાનાં કડી તાલુકામાં (Kadi) આવેલા બોરિસણા ગામ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્રી મેડિકલ કેમ્પમાં 80 જેટલા લોકોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું, જે પૈકી 19 લોકોને વધુ સારવાર માટે અને અમદાવાદ આવીને ઓપરેશન કરાવવાનું કહેવાયું હતું. આથી, બોરિસણા ગામથી 19 દર્દીઓને અમદાવાદ (Ahmedabad) ની ખ્યાતિ હોસ્પિટલ (Khyati Hospital) લવાયા હતા. દર્દીનાં સગાઓનો આરોપ છે કે, હોસ્પિટલે પરિવાજનોને કોઈ પણ જાણ કર્યા વગર જ 9 લોકોની એન્જિયોગ્રાફી કરી દીધી હતી. જેમાં એન્જિયોગ્રાફી બાદ દર્દીઓના હ્રદયમાં સ્ટેન્ડ મુક્યા હતા. જે પૈકી બે લોકોના મોત નિપજ્યા હતા. પીડિત પરિવારજનોએ એવો પણ આક્ષેપ કર્યો કે, આ ઓપરેશન માટે બંને દર્દીઓનાં આયુષ્યમાન કાર્ડમાંથી રૂપિયા પણ કપાઈ ગયા છે. હાલ, અન્ય 5 દર્દીઓ ICU માં સારવાર હેઠળ છે. મૃતક દર્દીઓનાં પરિવારજનોનો આરોપ છે કે, સરકારી યોજનામાંથી રૂપિયા ખંખેરવા માટે હોસ્પિટલે આ કારસો રચ્યો હતો. ત્યારે હવે ખ્યાતિ હોસ્પિટલ સામે કાર્યવાહી કરવાની પીડિત પરિવારોએ માગણી કરી છે.