દિવાળી હોય, લગ્ન હોય, ચૂંટણી જીત હોય કે અન્ય કોઈ ઉજવણી હોય, આ તમામ પ્રસંગે ભારતમાં ફટાકડા ફોડવામાં આવતા હોય છે. ત્યારે દિલ્હીમાં વધતા જતા પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે મહત્વનું નિવેદન આપ્યું છે. પ્રદૂષણથી ઘેરાયેલા દિલ્હીમાં દિવાળીની ઉજવણી સમયે ફટાકડા ફોડવાને કારણે સ્થિતિ વધુ કથળી હતી, જેના પગલે પ્રતિબંધનું યોગ્ય રીતે પાલન ના કરાવી શકનારી દિલ્હી પોલીસનો સુપ્રીમે ઉધડો લીધો હતો.
સાથે જ દિલ્હી સરકારને આખુ વર્ષ ફટાકડા પર પ્રતિબંધ અંગે વિચારવા માટે સલાહ આપી હતી. સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં વધતા જતા પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરતા ચૂંટણી અને લગ્ન જેવા પ્રસંગોમાં ફટાકડા પર પ્રતિબંધ મુકવા અંગે પણ સરકારને વિચાર કરવા સલાહ આપી હતી. સાથે જ સુપ્રીમે કહ્યું હતું કે અમારા આદેશને માત્ર દિવાળી સમયે ફોડવામાં આવતા ફટાકડા સાથે જ કેમ જોડવામાં આવે છે. કોઇ પણ ધર્મ પ્રદૂષણને વધારવાનું નથી કહેતો. આ લોકોના સ્વાસ્થ્યનો મામલો છે. પ્રદૂષણ મુક્ત જીવન નાગરિકોંનો મૌલિક અધિકાર છે. મહત્વનું છે કે, દિલ્હીમાં છેલ્લા કેટલાક સમયથી પ્રદૂષણના કારણે લોકોના સ્વાસ્થ્ય સામે પણ ખતરો ઉભો થયો છે. હાલમાં દિલ્હીની યમુના નદીમાં પ્રદૂષણ અને હાનિકારક તત્વોનું પ્રમાણ વધી ગયું છે. જેનાથી નદીના અસ્તિત્વ સામે ખતરો છે.
Leave a comment