ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં શુક્રવારે રાત્રે સ્પેશિયલ ન્યૂ બોર્ન કેર યુનિટમાં અચાનક આગ લાગી હતી. આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ લઈ લેતા 10 બાળકોના મોત થયા હતા, જેને લઈ ભારે હડકમ્પ મચી ગયો હતો. સમગ્ર ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડ અને અન્ય સ્થાનિક તંત્રના લોકોએ મળીને 39 બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જ્યારે ફાયર બ્રિગેડની ટીમે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ પ્રાથમિક તપાસમાં શૉર્ટ સર્કિટને કારણે એનઆઈસીયૂની અંદરના યૂનિટમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.
https://x.com/MahuaMoitraFans/status/1857497876051763694
બીજીબાજુ દુર્ઘટનાના પગલે તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ બેઠક યોજી હતી. તેમણે કમિશનર અને ડીઆઈજીને 12 કલાકમાં રિપોર્ટ આપવા આદેશ કર્યો હતો. આ ઘટનાના પગલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના સંદર્ભે દુખ વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર લખ્યું કે, ઉત્તરપ્રદેશના ઝાંસી મેડિકલ કોલેજમાં લાગેલી આગની ઘટના ખૂબ જ હૃદયદ્રાવક છે. જેમણે આ ઘટનામાં પોતાના માસૂમ બાળકો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. સાથે જ વડાપ્રધાને આ દુખ સહન કરવાની ભગવાન તેમને શક્તિ આપે તેવી પ્રાર્થના પણ કરી હતી. તેમજ રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહિવટી તંત્ર રાહત અને બચાવ માટે તમામ શક્ય પ્રયાસ કરી રહ્યું હોવાની ખાતરી આપી હતી.
https://x.com/PMOIndia/status/1857610379976929355
બીજીબાજુ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ આ ઘટના સંદર્ભે જણાવ્યું હતું કે, જનપદ ઝાંસી સ્થિત મેડિકલ કૉલેજમાં ઘટેલી એક દુર્ઘટનામાં થયેલાં બાળકોનાં મૃત્યુ અત્યંત દુખદ અને હ્રદયવિદારક છે. જિલ્લા પ્રશાસન તથા સંબંધિત અધિકારીઓને યુદ્ધસ્તર પર રાહત તથા બચાવ કામગીરી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. પ્રભુ શ્રી રામથી પ્રાર્થના છે કે દિવંગત આત્માઓની સદ્ગતિ તથા ઘાયલોને તુરંત સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે.”