ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) ગગનયાન મિશનની તૈયારીમાં વ્યસ્ત છે. સંસ્થાનું લક્ષ્ય 2026ના અંત સુધીમાં માનવસહિત મિશન લોન્ચ કરવાની યોજના છે. આ અંગેની માહિતી ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે શેર કરી હતી. તેમના કહ્યા મુજબ ભારત 2026ના અંત સુધીમાં ગગનયાન મિશન લૉન્ચ કરશે. તેમણે એમ પણ કહ્યું છે કે, મિશન માટે પહેલા રોબોટને અવકાશમાં મોકલાશે, ત્યારબાદ અવકાશયાત્રીઓને મોકલવામાં આવશે. મિશનની પ્રથમ માનવરહિત ઉડાન આવતા વર્ષની શરૂઆતમાં થવાની ધારણા છે. આની સફળતા બાદ 2026ના અંતસુધીમાં માનવ મિશન લૉન્ચ કરવામાં આવશે.તેમણે કહ્યું કે, ‘અમે છેલ્લા ચાર વર્ષથી ગગનયાન મિશન પર કામ કરી રહ્યા છીએ. રૉકેટ સંપૂર્ણ તૈયાર થઈ ગયું છે. પ્રથમ માનવરહિત ઉડાન આવતા વર્ષની શરૂઆત લૉન્ચ કરાશે. અગાઉ અમે ડિસેમ્બરમાં લૉન્ચ કરવાના હતા, જોકે ટેકનીક કારણોસર તેને પાછું ઠેલવામાં આવ્યું છે.
શું છે ગગનયાન મિશન
ગગનયાન પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ત્રણ દિવસના મિશન માટે અવકાશયાત્રીઓને પૃથ્વીથી 400 કિલોમીટર ઉપરની ભ્રમણકક્ષામાં મોકલીને ભારતની માનવ અવકાશ ઉડાન ક્ષમતાનું પ્રદર્શન કરવાનો છે. આ પછી, તેમને સુરક્ષિત રીતે સમુદ્રમાં ઉતારીને પૃથ્વી પર પાછા લાવવામાં આવશે. આ કારનામું અત્યાર સુધી માત્ર ત્રણ દેશો કરી શક્યા છે. જો આ મિશન સફળ થશે તો ભારતનું નામ પણ સુવર્ણ અક્ષરે લખાશે.