દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યોલે ગત રોજ દેશમાં ઈમરજન્સી લાગુ કરવાની જાહેરાત કરી હતી. તેમણે માર્શલ લોની જાહેરાત કરતા વિપક્ષ પર ઉત્તર કોરિયાના ઈશારે દેશ વિરોધી પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, વિપક્ષો સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે કટોકટી એટલે કે માર્શલ લો લાદવાની જાહેરાત કરતા જ તેના વિરોધમાં દેશભરમાં દેખાવો શરૂ થઈ ગયા હતા. મોટી સંખ્યામાં વિપક્ષીઓને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, રાષ્ટ્રપતિએ ઈમરજન્સી જાહેર કર્યા બાદ દેશના અનેક શહેરોમાં હોબાળો મચ્યો છે. દેખાવકારો રસ્તા પર ઉતરી આવ્યા છે અને અનેક ગાડીઓમાં તોડફોડ સાથે આગચંપી કરી છે. હાલ દક્ષિણ કોરિયામાં ચોતફ ભારેલા અગ્ની જેવો માહોલ ઉભો થયો છે. વિરોધને જોતા દબાણ હેઠળ રાષ્ટ્રપતિએ રાત્રે લગભગ 1:30 વાગ્યે કહ્યું – સેનાને પરત બોલાવવામાં આવી છે. ટૂંક સમયમાં કેબિનેટની બેઠક મળશે, જેમાં અમે ઈમરજન્સી હટાવવાનો નિર્ણય લઈશું. યૂન વર્ષ 2022માં રાષ્ટ્રપતિ પદ સંભાળી રહ્યા છે. જોકે મજબૂત વિપક્ષ હોવાના કારણે યૂનો પોતાની નીતિઓ લાગુ કરવામાં મુશ્કેલી વેઠી રહ્યા છે. બીજી તરફ રાષ્ટ્રપતિની પત્ની વિરુદ્ધ કૌભાંડનો આક્ષેપ કરાયો છે, જેની તપાસ કરવા માટે વિપક્ષે માંગ કરી છે.