ભારતીય લોકશાહીના મંદિર સંસદ ભવન પર થયેલ આતંકી હુમલાને આજે 23 વર્ષ પૂર્ણ થયા છે. 13 ડિસેમ્બર 2001ના દિવસે, ભારતીય સંસદ સામાન્ય રીતે સવારમાં વ્યસ્ત હતી. શિયાળુ સત્ર ચાલી રહ્યું હતું. થોડી જ વારમાં આ કેમ્પસમાં ઘૂસીને આતંકવાદીઓ આતંક ફેલાવવાના છે તેનો બિલકુલ ખ્યાલ નહોતો. ભારતીય લોકશાહીના ઈતિહાસમાં આ એક એવી ઘટના હતી જેણે આખા દેશને હચમચાવી નાખી હતી. આખો દેશ ચોંકી ગયો હતો કે, સંસદ પર કેવી રીતે હુમલો થઈ શકે છે.આ હુમલો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ કર્યો હતો. આતંકવાદીઓની સંખ્યા 05 હતી. તે તમામ હથિયારોથી સજ્જ હતા. તેઓએ સંસદ ભવન પર બોમ્બ અને ગોળીઓથી હુમલો કર્યો. આ હુમલામાં 14 લોકો માર્યા ગયા હતા. હુમલામાં 5 આતંકીઓ પણ સામેલ હતા. આ હુમલામાં 08 સુરક્ષાકર્મી અને 1 માળી પણ શહીદ થયા હતા.
સંસદ પરિસરમાં ગોળીબારના અવાજથી સુરક્ષાકર્મીઓમાં ખળભળાટ મચી ગયો હતો. તે સમયે 100 થી વધુ સાંસદો મુખ્ય બિલ્ડિંગમાં જ હાજર હતા. પરંતુ ત્યાં સુધીમાં સંસદની સુરક્ષામાં લાગેલા લોકો સંપૂર્ણપણે એક્શનમાં આવી ગયા હતાતત્કાલિન ગૃહ પ્રધાન લાલકૃષ્ણ અડવાણી અને દિગ્ગજ કેબિનેટ પ્રધાનોને સંસદ ભવનમાં જ ગુપ્તચર ઠેકાણામાં લઈ જવામાં આવ્યા હતા.સંસદના વોચ અને વોર્ડ સ્ટાફ દ્વારા ઘણા સાંસદોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ કલાકો સુધી ચાલેલા આ ઓપરેશનમાં સુરક્ષાદળોએ તમામ પાંચેય આંતકીઓને બિલ્ડિંગની બહાર જ ઠાર કરી દેવામાં સફળતા મેળવી હતી.