અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડન હવે થોડા સમયમાં જ વિદાય લેવાના છે. તેવામાં જો બાઈડને વિદાય લેતા પહેલા ભારતીયો માટે મહત્વનો નિર્ણય લીધો છે. પ્રમુખ બાઇડેને વિદાય લેતા પહેલા એચ-વનબી વિઝાના નિયમો વધો હળવા કર્યા છે, તેના લીધે અમેરિકન કંપનીઓ માટે વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા વિદેશી કામદારોની ભરતી કરવી સરળ બનશે અને તેની સાથે તેમણે એફ-વન સ્ટુડન્ટ વિઝાથી એચ-વનબી વિઝા તરફ ટ્રાન્સફર થવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવી છે. આ પગલાંના લીધે હજારો ભારતીય ટેકનોલોજી પ્રોફેશન્સને ફાયદો થશે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીઝ (ડીએચએસ)એ આ નિયમની જાહેરાત કરી હતી. તેનું ધ્યેય ખાસ પ્રકારના હોદ્દાઓને માપદંડો અને વ્યાખ્યાઓનું આધુનિકીકરણ કરીને માલિકો અને કામદારોને લવચીકતા પૂરી પાડવાનું છે. પણ એચ-વનબી વિઝાની વાર્ષિક ટોચમર્યાદામાં સ્વૈચ્છિક સંગઠનો અને સરકારી રિસર્ચ ઓર્ગેનાઇઝેશનોને મુક્તિ આપવામાં આવી છે.
આ ફેરફારોના લીધે અમેરિકન કંપનીઓને તેમની ધંધાકીય જરુરિયાતો પૂરી કરવા અને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બની રહેવામાં હાયરિંગ કરવામાં મદદ મળશે. ડીએચએસ મુજબ આ નિયમ એફ-વન વિઝા પરના વિદ્યાર્થીઓ તેમનો દરજ્જો બદલીને એચ-વનબી કરે તેના માટેની લવચીકતા પૂરી પાડે છે. તેના લીધે તેઓએ કાયદાકીય પ્રક્રિયાઓનો સામનો કરવો નહીં પડે અને એફ-વન વિઝા વાળા વિદ્યાર્થીઓને નોકરી કરવાની છૂટ પણ મળશે.
આના પગલે યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસસીએસ)ને અગાઉ એચ-વનબી વિઝાની મંજૂરી મેળવનારાઓએે ફરીથી અરજી કરી હોય તો તેને મંજૂરી આપવાની પ્રક્રિયા વધુ ઝડપી કરવામાં મદદ મળશે. હોમલેન્ડ સિક્યોરિટીના સેક્રેટરી એલેજેન્ડ્રો એન માયોરકાસે જણાવ્યું હતું કે અમેરિકન કારોબારો ઉચ્ચ સ્તરના કૌશલ્ય માટે એચ-વનબી વિઝા પ્રોગ્રામ પર આધારિત છે. તેનાથી સમગ્ર દેશને ફાયદો થયો છે. આ પ્રોગ્રામમાં સુધારાથી માલિકોને વૈશ્વિક ટેલેન્ટને આકર્ષવામાં મદદ મળશે, તેના લીધે આપણી આર્થિક સ્પર્ધાત્મકતામાં વધારો થશે. તેની સાથે ઉચ્ચસ્તરીય કૌશલ્ય ધરાવતા કામદારો અમેરિકન ઇનોવેશનને આગળ ધપાવશે.