દેશમાં જૂના અને વપરાયેલા વાહનોનું માર્કેટ સતત વધી રહ્યું છે. ઘણી કંપનીઓ ઓછા ભાવે જૂના વાહનો વેચી રહી છે. તેવામાં સરકારે જૂના વાહનોના વેચાણ પર જીએસટી દરમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. રાજસ્થાનના જેસલમેરમાં યોજાયેલી GST કાઉન્સિલની 55મી બેઠકમાં જૂના અને વપરાયેલા વાહનો પર ટેક્સના દરમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ સરકાર તેના પર 12 ટકાના દરે GST વસૂલ કરતી હતી. હવે નવા નિર્ણય મુજબ 18 ટકાના દરે ટેક્સ વસૂલવામાં આવશે.
આપને જણાવી દઈએ કે, બદલાયેલા જીએસટી દર કંપનીઓ અથવા ડીલરો દ્વારા વેચવામાં આવતી જૂની કાર સાથે સંબંધિત વ્યવહારો પર લાગુ થશે. આનો અર્થ એ થયો કે કાઉન્સિલ દ્વારા આ સુધારેલા દરો માર્જિન સાથે વેચાયેલા અને આ ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓ દ્વારા ખરીદવામાં આવેલા વાહનોને જ લાગુ પડશે. જોકે જૂના વાહનોનું વેચાણ કે ખરીદી કરનાર વ્યક્તિઓ પર 12 ટકાના દરે ટેક્સ લાગુ રહેશે. એટલે કે વ્યક્તિગત ખરીદદારો અને વેચાણકર્તાઓ પર તેની અસર નહીં થાય.