રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં સ્વાસ્થ્ય સંબંધિત સુવિધા મળી રહે તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. જેમાં વિવિધ જિલ્લામાં વસ્તીના ધોરણ ઉપરાંત જીઓ સ્પેશિયલ એનાલિસિસ અને આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાનમાં રાખીને 24 નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષતામાં તાજેતરમાં મળેલી એક બેઠકમાં તેમણે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કુલ 24 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (P.H.C) ને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે. હાલમાં રાજ્યમાં ભારત સરકારના ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો મુજબ આરોગ્ય કેન્દ્રો મંજુર કરવામાં આવે છે. જે મુજબ સામાન્ય વિસ્તારમાં ૩૦,૦૦૦ અને આદિજાતિ વિસ્તારમાં 20,000ની ગ્રામ્ય વસ્તીએ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવામાં આવે છે. રાજ્ય સરકારે જે જિલ્લાઓમાં નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને મંજૂરી આપી છે તેમાં સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, કચ્છ, અમરેલી, આણંદ, ગાંધીનગર, ગીર સોમનાથ, કચ્છ, ખેડા, મહેસાણા, પંચમહાલ, મહીસાગર, દાહોદ અને ભાવનગર જિલ્લાના ગામડાનો સમાવેશ થાય છે.