દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે જન્મજંયતી છે, વાજપેયીના દેશ નિર્માણમાં યોગદાન બદલ તેને સુશાસન દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. અટલ બિહારી વાજપેયી. નામ સાંભળતા જ મનમાં જેમના માટે આદર થાય એવા કેટલાક રાજપુરુષો ભારતને મળ્યા છે, એમાં વાજપેયીનો સમાવેશ કરવો પડે.તેમનો જન્મ 25 ડિસેમ્બરે 1924માં મધ્ય પ્રદેશના શહેર ગ્વાલિયરમાં થયો હતો. તેઓ ત્રણ વખત ભારતના વડા પ્રધાન રહી ચૂક્યા છે.સતાનું રાજકારણ તો બધા જ કરે છે પરંતુ રાજકારણીમાં અને રાજપુરુષમાં ફરક એ છે કે રાજપુરુષો મર્યાદા જાળવે છે.વગર સત્તા ભોગવ્યે ઇતિહાસમાં અમર થયેલા રાજપુરુષો દુનિયાને મળતા રહ્યા છે. ઉદાહરણ આપવું હોય તો બ્રિટિશ રાજપુરુષ ટોની બેનનું આપી શકાય.
ત્રણ વખત દેશના વડાપ્રધાન પદ પર રહ્યા
ભારત રત્ન અટલ બિહારી વાજપેયી દેશના સૌથી લોકપ્રિય રાજનીતિજ્ઞ પૈકીના અગ્રણી હતા.અટલ બિહારી વાજપેયી દેશના સૌથી ચહિતા રાજકારણી, કવિ અને પ્રખર વક્તા હતા. અટલ બિહારી વાજપેયી દેશના 10માં વડાપ્રધાન હતા. જેઓ એ વિવિધ ત્રણ સત્ર દરમિયાન દેશના પ્રધાનમંત્રી તરીકે નેતૃત્વ કર્યું હતુ. પોતાની પાંચ દાયકાથી વધુ સમયની રાજકીય જીવન યાત્રા દરમિયાન અટલ બિહારી વાજપેયી કુલ નવ વખત લોકસભાના સાંસદ અને બે ટર્મ રાજ્યસભાના સભ્ય પદે રહ્યા હતા. અટલ બિહારી વાજપેયી 1996માં ગાંધીનગર લોકસભા બેઠકથી ચૂંટણી લડીને સાંસદ બન્યા હતા અને દેશના સિમિત સમય માટે વડાપ્રધાન બન્યા હતા. વર્ષ 1996માં અટલ બિહારી વાજપેયીએ માત્ર 13 દિવસમાં જ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું. જો કે, 1998માં તેઓ ફરીથી વડા પ્રધાન પદ માટે ચૂંટાયા. ત્યારબાદ ત્રીજી વખત તેઓ 1999થી 2004 દરમિયાન ભારતના વડા પ્રધાન હતા. ત્યારે તેમણે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો.
ખેડૂતો માટે લીધો ઐતિહાસક નિર્ણય
અટલ બિહારી વાજપેયી માનતા હતા કે દેશની સમૃદ્ધિનો માર્ગ ખેતરોમાંથી પસાર થાય છે. જ્યારે ખેડૂતો આર્થિક રીતે મજબૂત થશે તો જ વિકાસની ગતિ ઝડપી થશે. આ માટે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ખેડૂતોને કુદરતી આફતોના જોખમમાંથી બચાવવા માટે ઐતિહાસિક નિર્ણય લીધો હતો. દેશમાં પ્રથમ રાષ્ટ્રીય કૃષિ વીમા યોજના પ્રથમ વખત તેમના વડા પ્રધાનપદ દરમિયાન શરૂ કરવામાં આવી હતી. આ યોજના 1999-2000ના રવિ પાકથી શરૂ કરવામાં આવી હતી. ખેડૂતોના હિતમાં આ એક મોટો નિર્ણય હતો. તેમનું વ્યક્તિત્વ, ભાષણની શૈલી અને દેશભક્તિ, જેમણે દાયકાઓ સુધી તેમના ગતિશીલ વ્યક્તિત્વથી ભારતીય રાજકીય ઉજળું બનાવ્યું, તે ક્યારેય મરી શકશે નહીં. આવનારી પેઢીઓને અનેક સદીઓ સુધી રાજકારણના આ પ્રણેતા પાસેથી પ્રેરણા મળતી રહેશે.
વાજપેયીના ભાષણથી યુ.એન. તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું
ભારતના પૂર્વ વડા પ્રધાન વાજપેયી સંયુક્ત રાષ્ટ્રની વિધાનસભામાં હિન્દીમાં ભાષણ આપનારા પહેલા વિદેશ પ્રધાન પણ હતા. તેમના આ ભાષણને હજી ઐતિહાસિક માનવામાં આવે છે, જેને દરેક લોકો ગૌરવ સાથે યાદ કરે છે. 4 ઓક્ટોબર 1977માં જ્યારે તેમણે હિન્દીમાં ભાષણ આપ્યું ત્યારે સમગ્ર યુ.એન. તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું.
આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2001માં ગુજરાતમાં કેશુભાઈ પટેલના સ્થાને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનવાના સમાચાર અટલ બિહારી વાજપેયીએ આપ્યા હતા. કહેવાય છે કે,અટલ બિહારી વાજપેયી સાથે નરેન્દ્ર મોદીનો હંમેશાથી ઘનિષ્ઠ સંબંધ રહ્યો હતો. આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં કવિ ર્હદય અટલ બિહારી વાજપેયીને ટાંકે છે.