અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ‘અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો 2025’આજથી જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. અમદાવાદ ફ્લાવર શો તારીખ 3 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી, 2025 દરમિયાન યોજાશે. અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો 2025 નો શુભારંભ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યો છે.
આ વર્ષે ફ્લાવર શોમાં 23 પ્રકારના વિવિધ ફૂલોનું નજરાણું મૂકવામાં આવ્યું છે. 2025ના આ ફ્લાવર શોને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે.આ વખતે ભારતનાં વિકાસની થીમ પર ફૂલોમાંથી અલગ-અલગ સ્કલ્પચર તૈયાર કરાયાં છે. દરેક સ્કલ્પચર પર QR કોડ હશે જેને સ્કેન કરવાથી સ્કલ્પચર અંગે માહિતી મળશે. ફીની વાત કરીએ તો સોમવારથી શુક્રવાર દરમિયાન રૂ. 70 પ્રવેશ ફી લેવાશે, જ્યારે શનિવાર અને રવિવારે રૂ.100 પ્રવેશ ફી લેવામાં આવશે. એટલુ જ નહીં સ્પેશિયલ કેસમાં ફ્લાવર શો નિહાળવાની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રૂ. 500 ફી આપીને ખાસ લાઈનમાં પ્રવેશ આપવામાં આવશે. ટિકિટનું બુકિંગ સિવિક સેન્ટર (Civic Center) પરથી પણ ઓનલાઇન કરી શકાશે. નોંધનીય છે કે, વર્ષ 2013 થી અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગત વર્ષે એટલે કે વર્ષ 2024 માં 20 લાખથી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી.