ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસો હાડ થીજાવતી ઠંડી લોકોને ધ્રુજાવી રહી છે ત્યારે આગામી સપ્તાહે ઉતરાયણમાં તાપમાન કેવું રહેશે તેના પર પતંગ રસિયાઓની નજર છે. રાજ્યના હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે ત્યારે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એ.કે. દાસે શુક્રવારથી 7 દિવસ માટે રાજ્યનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે, એટલે કે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી નથી.
તેમણે આગળ જણાવ્યું કે, હાલ પવનની દિશા પૂર્વથી દક્ષિણ-પૂર્વની છે.14-15 તારીખ દરમિયાન પવનની ગતિ 10-15 કિલોમીટર પ્રતિકલાક રહેવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલની સંભાવનાઓ પ્રમાણે પવનની દિશા પૂર્વથી દક્ષિણ-પૂર્વની રહી શકે છે. એટલે કે પતંગરસિયાઓને ઉત્તરાયણ પર પતંગ ચગાવવાની ખૂબ મજા આવશે. જોકે, 13 તારીખે આ અંગે વધુ માહિતી આપવામાં આવશે.