હાલ બોલીવુડમાં જાણે કે રિ-રિલીઝનો દોર ચાલી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. નવી ફિલ્મોની સાથે હિટ જૂની ફિલ્મો ફરીથી રૂપેરી પડદે રિલીઝ કરવામાં આવી રહી છે. ત્યારે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’ તેની 7મી વર્ષગાંઠ નિમિત્તે ફરીથી રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ 6 ફેબ્રુઆરી 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ પહેલા ફિલ્મને 24 જાન્યુઆરી 2025 એ રિ-રિલીઝ કરવાનો પ્લાન હતો, જોકે હવે આ તારીખ બદલીને 6 ફેબ્રુઆરી કરવામાં આવી છે. નિર્માતાઓએ આ માહિતી સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે.
૨૦૧૮માં આ ફિલ્મે દર્શકોનાં દિલ જીતી લીધાં હતાં. એ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂરે બહુ સરસ ઍક્ટિંગ કરી હતી. ફિલ્મમાં અદિતિ રાવ હૈદરી, રઝા મુરાદ, જિમ સરભ તેમ જ અનુપ્રિયા ગોએન્કાનો પણ મહત્ત્વનો રોલ છે. આ ફિલ્મ અગાઉ રીલિઝ થઈ ત્યારે તેમાં રાણી પદ્માવતીનાં ચિત્રણ બાબતે ભારે વિરોધ થયો હતો. સંખ્યાબંધ રાજ્યોમાં આ ફિલ્મ જ્યાં દર્શાવાઈ હતી ત્યાં તોડફોડ તથા આગચંપીની ઘટનાઓ બની હતી. કેટલાંય રાજ્યોમાં તેના શો રદ કરવા પડયા હતા.