અમદાવાદ ભારતના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંથી એક છે. 70 લાખથી વધુ વસ્તી ધરાવતા આ શહેરનો સમાવેશ ભારતના મેગાસિટીમાં થાય છે. અમદાવાદની હદો વધી રહી છે, આસપાસના વિસ્તારની નગરપાલિકાઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવવામાં આવી રહી છે, ત્યારે શહેરની વસ્તી પણ વધી રહી છે. વસ્તી વધવાની સાથે જ શહેરમાં ટ્રાફિક પણ વધી રહ્યો છે. ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે અને શહેરના વિકાસ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સતત પ્રયત્નશીલ રહ્યું છે. ત્યારે આ જ ક્રમમાં શહેરમાં 5 નવા બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
શહેરના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે નવા ઓવરબ્રિજ, અંડરપાસ કે માઇનોર બ્રિજ બનાવવાનું આયોજન છે. એના સિવાય અન્ય 7 સ્થળો પર મોટા ફ્લાય ઓવર અને એલિવેટેડ કોરિડોર બનાવવાની શકયતા પણ તપાસવામાં આવશે. અમદાવાદમાં જે સ્થળો પર નવા બ્રિજ બનાવવાનું આયોજન છે, જેમાં ઇસ્કોન જંક્શન, ચાંદલોડિયા સિલ્વર સ્ટાર ચાર રસ્તા, રાજપથ રંગોલી રોડ, પંચવટી સર્કલ અને પીરાણાથી પિપડજ જવાના રસ્તાનો સમાવેશ થાય છે.
ઓવરબ્રિજ પર થશે આટલો ખર્ચ
ઇસ્કોન જંક્શન પર 250 કરોડ રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવશે.
ચાંદલોડિયા સિલ્વર સ્ટાર ચાર રસ્તા ખાતે 80 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવવાનું આયોજન
રાજપથ રંગોલી રોડ પર 35 કરોડ રૂપિયાના ખર્ચે અંડર પાસ બનાવવાનું આયોજન
પંચવટી સર્કલ પર 90 કરોડ રૂપિયાના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજ બનાવવાનું આયોજન
પીરાણાથી પિપડજ જવા માટે 45 કરોડ રૂપિયાના ખર્ચે માઈનોર બ્રિજ બનાવવાનું આયોજન
7 સ્થળો પર ફ્લાય ઓવર અને એલિવેટેડ કોરિડોર બનાવવાની શકયતા
IIM જંક્શન BRTSને સમાંતર સેકન્ડ લેવલ બ્રિજ (ડબલ ડેકર બ્રિજ)
શ્યામલથી SG હાઇવે, ઇસ્કોનથી બોપલ વકીલ સાહેબ બ્રિજ થઈને ઘુમા સુધી એલિવેટેડ કોરિડોર
નહેરુનગરથી SG હાઇવે સુધી એલિવેટેડ કોરિડોર
પાલડી જંક્શન પર ફિજીબિલિટી સર્વેની કામગીરી
નરોડા દહેગામ જંક્શન પર સેકન્ડ લેવલ ફ્લાય ઓવરબ્રિજ સર્વેની કામગીરી
ઓઢવ-કઠવાડા રિંગ રોડ જંક્શન પર સેકન્ડ લેવલ બ્રિજ સર્વેની કામગીરી