અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા લોકો પર ત્યાની સરકારે કડક એક્શન લેવાનું શરૂ કર્યું છે. જેના ભાગરૂપે ૧૦૪ ભારતીયોને અપમાનજનક રીતે અમૃતસર મોકલવાનો વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકા ટૂંક સમયમાં વધુ ૪૮૭ ભારતીયોને ડીપોર્ટ કરશે. આ સાથે મંત્રાલયે કબૂલ્યું હતું કે, ૧૦૪ ભારતીયો સાથે કરાયેલું અપમાનજનક વર્તન ટાળી શકાયું હોત. આ મુદ્દે અમેરિકા સાથે વાત કરવામાં આવશે. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, અમેરિકન અધિકારીઓએ માહિતી આપી છે કે તેમના દેશમાં ગેરકાયદે રહેતા ૪૮૭ ભારતીયોની તેમણે ઓળખ કરી છે, જેમાંથી ૨૯૮ લોકોની વિગતો ભારતને આપવામાં આવી છે. તેમને ટૂંક સમયમાં ભારત પાછા મોકલાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે હાલમાં બુધવારે ડિપોર્ટ કરવામાં આવેલા 104 ભારતીયો સાથે દુર્વ્યવહારનો મુદ્દો અમેરિકા સમક્ષ ઉઠાવવાની ખાતરી પણ આપી છે. વિદેશ સચિવવિક્રમ મિસ્રીએ નોંધ્યું હતું કે, ડિપોર્ટેશન દરમિયાન નિયંત્રણોનો ઉપયોગ સંબંધિત પ્રક્રિયા મુદ્દે ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ સહિત યુએસ સત્તાધીશોનું ધ્યાન દોર્યું છે.