ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગની પહેલી સીઝન આવતીકાલ એટલે કે 22મી ફેબ્રુઆરીથી શરૂ થશે. જે 16 માર્ચ સુધી ભારતના ત્રણ શહેરોમાં રમાશે. ટૂર્નામેન્ટની 6 ટીમો વચ્ચે 18 મેચ મુંબઈ, વડોદરા અને રાયપુરમાં રમાશે. 22 ફેબ્રુઆરી એ ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગમાં ભારત અને શ્રીલંકાની ટીમ ટકરાશે. આ મેચમાં સચિન તેંડુલકર અને યુવરાજ સિંહ જેવા ભારતીય દિગ્ગજ ખેલાડીઓ સાથે રમતા જોવા મળશે. આ અનુભવી ખેલાડીઓને ફરીથી બ્લુ જર્સી પહેરીને રમવાની તક મળશે. સચિન તેંડુલકરે ભારત માટે ફક્ત એક જ T20I મેચ રમી હતી. આનાથી ચાહકો માટે રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં તેને ફરી એકવાર ભારતીય જર્સીમાં જોવાનું રસપ્રદ બનશે.
આ લીગમાં 6 ટીમ લેશે ભાગ
ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગમાં છ ટીમો ભાગ લેશે. જેમાં ભારત, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. બધી ટીમોમાં ક્રિકેટના કેટલાક મોટા સ્ટાર્સનો સમાવેશ થાય છે. આ લીગ નવી મુંબઈ, વડોદરા અને રાયપુરમાં આયોજિત કરવામાં આવશે. બધી મેચ સાંજે 7:30 વાગ્યાથી રમાશે. 16 માર્ચે રાયપુરમાં સેમિફાઇનલ અને ફાઇનલ મેચ રમાશે.