ભારતીય ટીમ આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની તમામ મેચો જીતીને સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. ત્યારે આજે દુબઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ સેમીફાઈનલ મેચ રમાવાની છે. જ્યારે સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે લાહોરના ગદ્દાફીમાં બીજી સેમીફાઈનલ મેચ રમાવાની છે.
ગ્રુપ એમાં ટોપ પર રહેલ ભારતીય ટીમ અત્યાર સુધી તેની એકપણ મેચ હારી નથી અને આ સાથે તેના 6 પોઈન્ટ છે. જ્યારે ગ્રુપ બીમાં રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમ ત્રણ મેચમાંથી એક મેચ જીતી છે, જ્યારે બે મેચ વરસાદના કારણે રદ કરવાની ફરજ પડી હતી. જોકે ઓસ્ટ્રેલિયાની ટીમના ચાર પોઈન્ટ હોવાથી તે સેમીફાઈનલમાં પહોંચી હતી.
ત્યારે હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી આજે સેમીફાઈનલને લઈને ક્રિકેટચાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ન્યુઝિલેન્ડ સામેની મેચમાં ભારત ચાર સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી હતી, જે યોજના સફળ સાબિત થઈ હતી. જોકે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પ્રથમ સેમિફાઇનલ મેચ એક નવા ટ્રેક પર રમાશે. જેને લઈને ચોક્કસથી ભારતીય કેપ્ટનની ચિંતા વધી છે.