છેલ્લા ઘણા સમયથી ગુજરાત સહિત દેશભરમાં ડમી સ્કૂલોની સંખ્યા વધી રહી છે. ‘ડમી સ્કૂલો’માં ભણતા 12મા ધોરણના, વિદ્યાર્થીઓને CBSE બોર્ડે મોટો ઝટકો આપ્યો છે. હવે આવા વિદ્યાર્થીઓને 12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સીબીએસઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ડમી સ્કૂલો’માં ભણતા ધોરણ 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે (CBSE) ફરી એકવાર વિદ્યાર્થીઓને વોર્નિંગ આપી છે કે, જે લોકો નિયમિત ક્લાસમાં આવી રહ્યા નથી. તેઓને બોર્ડની પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. સાથે ડમી સ્કૂલ પ્રણાલીને પ્રોત્સાહન આપતી શાળાઓ વિરૂદ્ધ પણ કડક કાર્યવાહી હાથ ધરવાની જાહેરાત કરી છે. સીબીએસઈએ નિયમિત શાળાઓમાં અભ્યાસ ન કરતાં વિદ્યાર્થીઓને ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં હાજરી ન આપવાનો આદેશ આપ્યો છે.
અધિકારીએ જણાવ્યું કે, ડમી સ્કૂલમાં પ્રવેશ મેળવવાની જવાબદારી વિદ્યાર્થી તથા તેમના માતા-પિતાની રહેશે.નવા નિયમો અનુસાર, ડમી સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવાની મંજૂરી મળશે નહીં. આવા વિદ્યાર્થીઓએ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગના માધ્યમથી પરીક્ષા આપવાની રહેશે. સાથે જ અધિકારીએ જણાવ્યું છે કે, જો તપાસ દરમિયાન કોઈ વિદ્યાર્થી શાળામાં ગેરહાજર જોવા મળ્યો અથવા તો ક્લાસમાં નિયમિત હાજરી નહીં હોય તો તે બોર્ડ પરીક્ષા આપી શકશે નહીં. બોર્ડ પરીક્ષા માટે ઓછામાં ઓછી 75 ટકા હાજરી જરૂરી રહેશે.