જો તમે બહાર પિત્ઝા ખાવા જતા હોવ તો ખાતાં પહેલાં એકવાર તપાસ કરજો. કારણ કે, ખાવાની વસ્તુઓમાં કંઈપણ ચીજવસ્તુ નીકળી શકે છે. જેના કારણે તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી એક પિત્ઝા શોપમાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો છે. જેમાં અહીંની પાપા લુઈત પિત્ઝા શૉપમાંથી ગ્રાહકે ઑર્ડર કરેલા પિત્ઝામાં ખીલી નીકળી હોવાની ઘટના સામે આવી છે.
મેઘાણીનગરમાં રહેતો વ્યક્તિ પોતાના પરિચિતો સાથે નિકોલમાં આવેલ પાપા લુઈસ નામની પિત્ઝા શૉપમાં ગયો હતો. જ્યાં તેમણે ઑર્ડર કરેલો કૉર્ન પિત્ઝા ખાવાની સાથે જ મોંઢામાં કોઈક લોખંડની મજબૂત વસ્તુ આવી ગઈ હોય તેમ લાગ્યું હતુ. આથે તેઓએ મોંઢામાંથી બહાર કાઢીને જોયું, તો હાથમાં ખીલી આવી હતી.
આથી તાત્કાલિક તેમણે પિત્ઝા શૉપના જવાબદાર અધિકારીને બોલાવીને ફરિયાદ કરી હતી. આથી પિત્ઝા શૉપના અધિકારીએ પોતાની ભૂલ સ્વીકારવા સાથે જ હવેથી આવી ઘટના ના બને તેનું ધ્યાન રાખવાની ખાતરી આપી હતી. બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગને ફરિયાદ મળતા ટીમ તાબડતોડ પાપા લુઈસ પિત્ઝામાં તપાસ માટે પહોંચી હતી. જ્યાં તપાસના અંતે પાપા લુઈસ પિત્ઝાને સીલ મારવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.