ઠગબાજો નિર્દયી બની રહ્યાં છે અને જાતજાતના તરકીબો દ્વારા નાના-મોટાને ફસાવીને પૈસા ઓકાવી રહ્યાં છે. ઠગબાજોએ હવે માઝા મૂકી છે અને તાજેતરમાં સામે આવેલા એક કિસ્સાએ તો રડાવી દીધા. આ કિસ્સો કર્ણાટકના બેલગાવી જિલ્લાના ખાનપુરનો છે. જ્યાં એક વૃદ્ધ દંપતી ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યું હતું, જેમાં 50 લાખ રૂપિયા ગુમાવી દીધા હતા. આટલી મોટી રકમ ગુમાવવાનો આઘાત એટલો લાગ્યો હતો કે આ વૃદ્ધ પતિ-પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાદ લોકોમાં ડિજિટલ એરેસ્ટની ઘટનાઓને લઇને રોષ વધી રહ્યો છે. મળતી માહિતી મુજબ, 82 વર્ષીય ડિયોગઝેરોન અને તેની 79 વર્ષીય પત્ની ફ્લાવિયાનાનો મૃતદેહ તેમના ઘરેથી મળી આવ્યો છે. સાથે જ એક નોટ મળી આવી છે જેમાં મરતા પહેલા ડિયોગઝેરોને તમામ ખુલાસા કર્યા છે.
આ નોટમાં સુમિત બિરા અને અનિલ યાદવ નામના બે વ્યક્તિનો ઉલ્લેખ છે. તેમણે લખ્યું છે કે સુમિતે મને ફોન કર્યો હતો અને દાવો કર્યો હતો કે પોતે દિલ્હીમાં ટેલિકોમ વિભાગમાં અધિકારી છે, અને મને કહ્યું હતું કે તમારા નામે એક સિમકાર્ડ ખરીદવામાં આવ્યું છે જેનો ઉપયોગ લોકોની સાથે ફ્રોડ કે છેતરપિંડી કરવા થઇ રહ્યો છે. બાદમાં તેણે ફોન અનિલ યાદવને આપ્યો હતો, અનિલે દાવો કર્યો હતો કે પોતે ક્રાઇમ બ્રાન્ચનો અધિકારી છે. અનિલે બાદમાં મારી પાસેથી મારી સંપત્તિ અને નાણાકીય વિગતો માગી હતી. સાથે જ 50 લાખ રૂપિયા માગ્યા હતા. જે લોન અન્ય અન્ય લોકો પાસેથી મદદ માંગીને મોકલી આપ્યા હતા.
જોકે સાયબર ઠગબાજોએ ત્યારબાદ પણ પૈસાની માંગણી ચાલુ રાખી હતી, જેથી કંટાળી જઈને વૃદ્ધ દંપત્તિએ જીવન ટૂંકાવી દીધું હતું આત્મહત્યા કરતા પહેલા લખેલી સુસાઈડ નોટમાં દંપત્તિએ લખ્યું હતું કે, અમારા મૃતદેહને વિદ્યાર્થીઓના શિક્ષણ માટે મેડિકલ કોલેજમાં દાન કરવામાં આવે.