હાલ દેશમાં ગરમી ભુક્કા બોલાવી રહી છે. કાળઝાળ ગરમીના પગલે લોકો ઘરની બહાર નિકળતા અચકાય છે. લોકો ઘર કે ઓફિસમાં એસી ચાલુ કરીને બંધ રહે છે. જો કે છેલ્લા કેટલાક દિવસોમાં દેશના ઘણા વિસ્તારોમાંથી એસી ફાટવાની અને આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. એર કન્ડીશનીંગ તમારા ઘરને ઠંડુ રાખે છે, પરંતુ જો કાળજી લેવામાં ન આવે તો આ એસી ભયંકર અકસ્માતનું કારણ પણ બની શકે છે. ઘણા લોકોને ખ્યાલ નથી કે આ ભયંકર ગરમીમાં એસી ચલાવતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ ? હાલ ઉનાળાની ગરમી તેની ચરમસીમા પર છે, તેથી દરેક લોકો દરરોજ એર કંડિશનર (AC) નો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં AC ચલાવવાની યોગ્ય પ્રક્રિયાને અનુસરવી જરુરી છે.
શા માટે એસી ઓન કરતા રહે છે 24 ડિગ્રી તાપમાન?
શું તમે જાણો છો કે જ્યારે પણ તમારા ઘરમાં નવું AC લગાવવામાં આવે છે અને તમે તેને ઇન્સ્ટોલ કર્યા પછી ઓન કરો છો તો તે કયા તાપમાને ચાલે છે? ભારતમાં ચાલતું દરેક એસી પ્રથમ વખત 24 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ચાલે છે. આ કોઈ સંયોગ નથી. તેના બદલે પાવર મંત્રાલયે તમામ રૂમ એર કંડિશનર્સ (ACs) માં ડિફોલ્ટ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ સેટ કરવાનો આદેશ આપ્યો છે. આ ઓર્ડર 1 જાન્યુઆરી, 2020 થી તમામ રૂમ એર કંડિશનરમાં લાગુ કરવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે જ્યારે નવું AC શરૂ થશે ત્યારે પ્રી-સેટ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ હશે. સરકારે ACનું તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ કેમ નક્કી કર્યું? આ નિર્ણય તમારા ખિસ્સા અને તમારા સ્વાસ્થ્ય બંને માટે ખૂબ જ ફાયદાકારક છે.
સ્વાસ્થ્યને થઈ શકે છે નુકસાન
હકીકતમાં ઘણા લોકોની આદત હોય છે કે, ACને 22-20 ટેમ્પરેચર પર ચલાવવું અને ઠંડી લાગે ત્યારે પોતાને ધાબળો ઓઢવાની આદત હોય છે. આનાથી વીજળીનો પણ વપરાશ વધારે થાય છે અને તેના કારણે બિલ પણ વધારે આવે છે. ત્યાર પછી લાંબા સમય પછી શરીરને નુકસાન થઈ શકે છે.
બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી કહે છે કે AC તાપમાન પરંપરાગત 18-21 ડિગ્રીથી ઘટાડીને 24 ડિગ્રી કરવાથી 24 ટકા ઊર્જા બચી શકે છે. એસીના તાપમાનના સેટિંગને 18 ડિગ્રીથી 24 ડિગ્રીમાં બદલવાથી એક વર્ષમાં લગભગ 4000 રૂપિયા વીજળીના બિલમાં ઘટાડો થશે. તાપમાનને 27 ડિગ્રી સુધી વધારવાથી વાર્ષિક બિલમાં લગભગ 6500 રૂપિયાનો ઘટાડો થશે. જાપાને AC માટે 28 ડિગ્રી સેલ્સિયસનું ડિફોલ્ટ સેટિંગ રજૂ કર્યું છે. અમેરિકામાં કેટલાક સ્થળોએ 26 ડિગ્રી સેલ્સિયસથી નીચેના એસી તાપમાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો દરેક વ્યક્તિ પોતાના ઘરોમાં 24 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એસી ચલાવે તો દેશમાં દર વર્ષે લગભગ 20 અબજ યુનિટ બચત થઈ શકે છે.જો અડધા (50 ટકા) ગ્રાહકો આ તાપમાનમાં ACનો ઉપયોગ કરે છે, તો લગભગ 10 અબજ યુનિટ વીજળીની બચત થશે. આ દર વર્ષે 8.2 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડના ઘટાડા સમાન છે.