ગુજરાતનું ગર્વ ગણાતા એશિયાટિક સિંહોની 16મી વસ્તી ગણતરી 10થી 13 મે દરમિયાન યોજાનાર છે. દરેક પાંચ વર્ષે થતી આ ગણતરી હવે લગભગ દસ વર્ષે કરવામાં આવી રહી છે. કોરોના મહામારીને કારણે 2020માં પૂરતી તૈયારી સાથે વિધિવત ગણતરી કરી શકાઈ નહોતી, જેના કારણે આ વખતે તે વધુ મહત્વની બની છે. જોકે પ્રથમ વખત સિંહની ગણતરીમાં AIની મદદ લેવામાં આવશે અને વન વિભાગનો સ્ટાફ પણ આ માટે સજ્જ થયો છે. 10થી 13 મે સુધી સિંહોની ગણતરી હાથ ધરવામાં આવશે અને આ સિંહની ગણતરીમાં સ્વયંસેવકો, વન વિભાગ, એનજીઓ જોડાશે, તેમજ 11 જિલ્લામાં સિંહ ગણતરી થશે.
આ ગણતરી બે તબક્કામાં 24-24 કલાક ચાલશે. 2020માં કરવામાં આવેલી ગણતરી મુજબ રાજ્યમાં કુલ 674 સિંહો હોવાનું જાહેર કરાયું હતું. તે સમયની લગભગ 30,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ગણતરી કરાઈ હતી. જોકે હવે આ વખતે સિંહોની હાજરી 9 જિલ્લાના 53થી વધુ તાલુકાઓમાં નોંધાય છે. જેમાં બરડા, બોટાદ સહિતના નવા વિસ્તારો પણ સામેલ થઈ રહ્યા છે. જેથી સિંહોની ગણતરી માટેનો વિસ્તાર અને પડકાર બંને વધી ગયા છે.