ભારત પહેલગામ હુમલા પછી, સતત એક્શન મોડમાં છે. પાકિસ્તાનને યોગ્ય પાઠ ભણાવ્યા પછી, સરકાર હવે પાકિસ્તાનને ટેકો આપતા દેશો અને તેની નજીકના દેશોને નિશાન બનાવી રહી છે. તેમાં તુર્કીયે અને અઝરબૈજાનનો સમાવેશ થાય છે. ત્યારે હવે ભારતે બાંગ્લાદેશને પણ સબક શિખવાડવાની શરૂઆત કરી દીધી છે. ભારતે બાંગ્લાદેશમાંથી આવતાં તૈયાર કપડાં, ફ્રૂટ અને ફ્રૂટની સુગંધવાળાં ‘સોફ્ટ-ડ્રીંક્સ’ તેમજ કાર્બોનેટેડ ડ્રીન્કસની આયાત પ્રતિબંધિત કરી છે. જમીન માર્ગે તેમજ સમુદ્ર માર્ગે પણ આવતો બાંગ્લાદેશનો માલ હવે ભારતમાં મળી નહીં શકે.
બાંગ્લાદેશના વ્યાપાર વાણિજય ઉપર ભારતે મુકેલા પ્રતિબંધોની અત્યંત ગંભીર અસર થઈ રહી છે, કારણ કે બાંગ્લાદેશની કુલ નિકાસ પૈકી ૭૦ ટકાથી વધુ નિકાસ તો ભારતમાં જ થાય છે. તેમજ તેની આયાત પૈકી ૪૨ ટકા આયાત ભારતમાંથી થાય છે. પરિણામે ભારતે મુકેલા પ્રતિબંધોને લીધે બાંગ્લાદેશને ૭૭૦ મિલિયન ડોલર્સનો વ્યાપારી ફટકો પડે તેમ છે.