આજે ગુજરાતની શાન ગણાતા એશિયાઈ સિંહોની વસ્તી ગણતરીના આંકડા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરાયા હતા. જેમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા વધીને 891 પર પહોંચી હોવાનું જણાવવામાં આવ્યું. મળતી માહિતી મુજબ, ગુજરાત સરકાર દ્વારા પાંચ વર્ષ બાદ 16મી સિંહ વસતિગણતરીના આંકડા જાહેર કરાયા છે.
આ આંકડાઓ મુજબ, રાજ્યમાં એશિયાટિક સિંહોની વસતિ 891 સુધી પહોંચી છે. આ સાથે સિંહોના વસવાટ માટેનો વિસ્તાર પણ વધ્યો છે. આ આંકડા એ રાજ્યમાં સિંહોની સંખ્યા અને તેમના વસવાટ વિસ્તાર બંનેમાં વૃદ્ધિ દર્શાવે છે. ગણતરી દરમિયાન સિંહોના વર્તન, વસવાટના વિસ્તારો અને તેમના આરોગ્ય પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું.
સિંહની વસ્તી ગણતરી રાજ્યના 11 જિલ્લાઓના 58 તાલુકાઓમાં 35,000 ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારને આવરી લેવામાં આવ્યો હતો. જેમાં 3,254 લોકોની ટીમે અથાગ પ્રયાસો કરતાં 891 સિંહોની હાજરી હોવાનું જાણવા મળ્યું છે.