ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ના એલિમિનેટર મુકાબલામાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ગુજરાતને 20 રનથી હરાવ્યું હતું. આ સાથે મુંબઈએ ક્વોલિફાયર-2માં સ્થાન બનાવી લીધું છે, જ્યાં તેનો સામનો પંજાબ કિંગ્સ સાથે થશે.
આ મેચ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. એલિમિનિટેર મેચમાં મુંબઈ અને ગુજરાત વચ્ચેની મેચ મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. મુંબઈએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 229 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
મુંબઈ માટે રોહિત શર્માએ શાનદાર 81 રન બનાવ્યા હતા. રોહિત ઉપરાંત, જોની બેરસ્ટોએ 47, સૂર્યકુમાર યાદવે 33, તિલક વર્માએ 25 અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ અણનમ 22 રનની ઇનિંગ રમી હતી. જેના જવાબમાં ગુજરાત ટાઈટન્સની ટીમ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 208 રન જ બનાવી શકી. આમ, IPL 2025ની એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને 20 રનથી હરાવ્યું છે. ગુજરાત ટાઈટન્સ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે અને હવે મુંબઈ ઈન્ડિયન્સ ક્વાલિફાયર-2માં પંજાબ કિંગ્સ સાથે ટકરાશે.