ઉનાળાની સીઝનમાં ઠંડક મેળવવા માટે મોટાભાગના લોકો ઘર કે ઓફિસમાં એર કંડિશનર (AC) નું ટેમ્પરેચર 18થી 20 ડિગ્રી પર રાખતા હોય છે. કેટલાક લોકો વારંવાર પોતાની જરૂરિયાત મુજબ ACનું ટેમ્પરેચર અપ-ડાઉન કરતા હોય છે. પરંતુ હવેથી આવું નહીં થાય. જોકે સરકાર ટૂંક સમયમાં જ સમગ્ર દેશ માટે એર કંડિશનરની નવી ટેમ્પરેચર રેન્જ નક્કી કરવા જઈ રહી છેAC ટેમ્પરેચર લિમિટ અંગે ટૂંક સમયમાં નવા નિયમો જાહેર થઈ શકે છે.
વીજ કાર્યક્ષમતા વધારવાની દિશામાં મોટું પગલું
કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે આ અંગે માહિતી આપી હતી. કેન્દ્રીય વીજ મંત્રી મનોહર લાલ ખટ્ટરના જણાવ્યાં અનુસાર, નવી રેન્જ હેઠળ એર કંડિશ્નર્સમાં 20 ડિગ્રીથી નીચેનું અને મહત્તમ 28 ડિગ્રીથી વધુનું તાપમાન સેટ નહીં કરી શકાય. આ નિર્ણયને વીજ કાર્યક્ષમતા વધારવાની દિશામાં લેવાયેલું મહત્વનું પગલું ગણાવતાં ખટ્ટરે જણાવ્યું હતું કે, સરકારે એસીનું ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી અને મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસે ફિક્સ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય ટૂંક સમયમાં અમલી બનાવાશે અને તેનું કડકાઈપૂર્વક નિયમન કરાશે.
આ નવા નિયમોનો હેતુ એર કંડિશનર્સના વપરાશમાં સમાનતા લાવવાનો તથા વધુ પડતાં નીચા ટેમ્પરેચરથી થતાં વીજળીની ખપતને ઘટાડવાનો છે. ભારત ઘણાં સમયથી ઉર્જા સંરક્ષણ અને ઉર્જાની ખપત ઘટાડવાની દિશામાં વિવિધ પગલાં લઈ રહ્યું છે. ખટ્ટરના જણાવ્યાં અનુસાર, આ નવી મર્યાદા વ્યાપક નીતિનો ભાગ છે જેનો ઉદ્દેશ રેસિડેન્શિયલ અને કમર્શિયલ ઉર્જાના વપરાશમાં સુધારો કરવાનો છે.