દર વર્ષે ભારત સહિત દુનિયાભરમાં 12 જૂનના રોજ વર્લ્ડ ચાઇલ્ડ લેબર ડે તરીકે મનાવવામાં આવે છે, એટલે કે બાળમજૂરી દિવસ. બાળબજૂરી એ એક મોટો ગંભીર ગુનો છે. જોકે તેમ છતાં આજે દેશ અને દુનિયામાં અનેક બાળકો તેનો શિકાર થઈ રહ્યા છે. માસૂમ બાળકો જેમની ઉંમર રમવા-કૂદવા અને ભણવાની હોય છે તે બાળકો અત્યારે ચાની લારી, ગલ્લા કે દુકાનો તેમજ રોડ-રસ્તા પર કામ કરતા જોવા મળી રહ્યા છે.બાળમજૂરી રોકવા માટે કેટલાય મહત્ત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે, તેમછતાં પરિસ્થિતિમાં ખાસ કોઇ બદલાવ જોવા મળતો નથી. બાળમજૂરી રોકવા માટે દર વર્ષે વર્લ્ડ ચાઇલ્ડ લેબર ડે મનાવવામાં આવે છે. જાણો, વર્લ્ડ ચાઇલ્ડ લેબર ડેની શરૂઆત ક્યારથી થઇ અને તેનો હેતુ શું છે.
ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO)એ સૌપ્રથમ બાળ મજૂરી રોકવાનો મુદ્દો ઉઠાવ્યો હતો, ત્યારબાદ 2002માં સર્વસંમતિથી એક કાયદો પસાર કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને બાળમજૂરી બનાવવાને અપરાધ માનવામાં આવ્યો હતો. ઇન્ટરનેશનલ લેબર યુનિયન (ILO) ના 187 સભ્ય દેશો છે. ILO એ વિશ્વમાં શ્રમની સ્થિતિ સુધારવા માટે અનેક સંમેલનો પસાર કર્યા છે. તદુપરાંત, તે વેતન, કામના કલાકો, અનુકૂળ વાતાવરણ વગેરે જેવી બાબતો પર જરૂરી માર્ગદર્શિકા આપતું રહે છે.
બાળમજૂરીમાં ગરીબી સૌથી મોટી છે, જેના કારણે બાળકો શિક્ષણનો વિકલ્પ છોડીને જબરદસ્તી મજૂરી કરવાનું પસંદ કરે છે.આ ઉપરાંત સંગઠિત ગુનાખોરીના રેકેટ દ્વારા પણ ઘણા બાળકો બાળ મજૂરી કરવા મજબૂર છે. તેથી વૈશ્વિક સ્તરે આ દિવસની ઉજવણી કરવાનો હેતુ આ બાબતો પર લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનો છે, જેથી બાળકોને બાળમજૂરીથી બચાવી શકાય.
બાળકોએ દેશની સાથે વિશ્ર્વનું ભવિષ્ય છે, જો તેમને યોગ્ય શિક્ષણ મળશે તોજ દેશનુ ભવિષ્ય ઉજળુ બનશે. આપણા દેશે બાળ મજુરી ઘટાડવામા પ્રગતિ કરી છે. 2011ની વસ્તી ગણતરી મુજબ 5 થી 14 વર્ષની વય જુથમાં કામ કરતા બાળકોની સંખ્યા 2001માં 1.26 કરોડથી ઘટીને 43.53 લાખ થઈ છે. જોકે આપણા દેશમાં બાળ મજુરી ગરીબી અને નિરક્ષરતા સાથે જોડાયેલી સામાજીક આર્થિક સમસ્યા છે. દેશમાં બાળ મજુરી નાબુદ કરવા માટે મજબૂત કાયદાઓ અને બંધારણીય જોગવાઈઓ હોવા છતા આજે ઘણી જગ્યાએ બાળ મજૂરો જોવા મળે છે.