મધ્ય પૂર્વમાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈઝરાયલે ફરી ઈરાન પર હુમલો શરુ કર્યો છે. ઈરાની મીડિયાના જણાવ્યા પ્રમાણે ઈઝરાયલ સેનાએ ફરી ન્યૂક્લિયર સાઈટ પર હુમલો શરુ કરી દીધો છે. એવું કહેવાય છે કે, ઈઝરાયલે શિરાઝ અને તબરીઝ શહેરોની સાથે સાથે નતાંઝ ન્યૂક્લિયર સાઈટ પર ફરીથી હુમલા શરુ કરી દીધા છે.
ઈઝરાયલની એરસ્ટ્રાઈકમાં ઈરાનના 78થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 300થી વધુ ઈજાગ્રસ્ત છે. એટલું જ નહીં આ હુમલામાં ઈરાનના ટોચના નેતા અયાતુલ્લાહ અલી ખામેનેઈના નજીકના સલાહકાર પણ ઈજાગ્રસ્ત થયા છે. ઈરાનના સરકારી ટેલિવિઝને પોતાના રિપોર્ટમાં આ વાતની પુષ્ટિ કરી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ટોચના નેતાના સલાહકાર અલી શમખાની પણ આજના યહૂદી એટેકમાં ઈજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન ઇઝરાયલ અને ઈરાન વચ્ચે શરુ થયેલી આ લડાઈ મહાયુદ્ધમાં પરિણમે તેવી આશંકા છે. આ દરમિયાન મિડલ ઈસ્ટના દેશોએ પોતાના એરસ્પેસને બંધ કરી દીધા છે, જેના કારણે કોઈ યાત્રી વિમાન ઈરાન અને ઇઝરાયલના હુમલાનો શિકાર ન બને. ઈરાન અને ઇઝરાયલના પાડોશી દેશો ઈરાક, લેબેનોન, સીરિયા અને જૉર્ડને પોતાના એરસ્પેસ હાલ બંધ કરી દીધા છે. જેના કારણે અનેક દેશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઈરાનનું એરસ્પેસ બંધ થવાથી ભારતની તમામ ઉડાનને દિલ્હી અથવા મુંબઈ પરત ફરવું પડ્યું હતું. આ સિવાય વિદેશથી આવી રહેલી ફ્લાઇટને પણ ડાયવર્ટ કરવામાં આવી રહી છે.