ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં શનિવારે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા જ્યાં એકબાજુ ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી હતી, ત્યાં બીજીબાજુ આ વરસાદ કેટલાક માટે આફત બન્યો હતો.
દાહોદમાં પિતા-પુત્રનું મોત
ભારે વરસાદ વચ્ચે વીજળીના કડાકા પણ થયા હતા, જેમાં 24 કલાકમાં ચાર લોકોના મોત વીજળી પડતા થયા છે. જેમાં દાહોદમાં ભારે વરસાદમાં વીજળી પડતા મુવાલિયા ગામે પિતા અને પુત્રનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળના કંટવાવ ગામે વીજળી પડતાં 40 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
વીજળી પડતાં 14 જેટલા ઘેટા-બકરાના મૃત્યું
મળતી માહિતી મુજબ, પતિ સાથે ખેતરમાં કામ કરવા જતી વખતે વીજળી પડતાં સુનિતા ચૌધરી નામની મહિલાનું મોત નીપજ્યું હતું. રાજકોટના રૈયાધાર મફતીયાપરા વિસ્તારમાં વીજળી પડવાથી 43 વર્ષીય દલુભાઈ બારૈયા નામના વ્યક્તિનું મોત હતું. તેમજ રાજકોટ તાલુકાના વિરડા વાજડી ગામે ગાજવીજ સાથેના વરસાદમાં વીજળી પડતાં 14 જેટલા ઘેટા-બકરાના મૃત્યું નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.