ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI એ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટ (ઘરેલૂ ક્રિકેટ)ને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. BCCIએ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં મોટા ફેરફાર કર્યા છે. જેનો ઉદ્દેશ્ય સ્પર્ધાત્મકતા વધારવાનો અને ક્રિકેટના સ્તરને સુધારવાનો છે. આ ફેરફારોમાં દુલીપ ટ્રોફીને તેના જૂના, ઝોનલ ફોર્મેટમાં પરત લાવવાનો અને રણજી ટ્રોફીમાં પ્રમોશન-ડિમોશન સિસ્ટમ લાગુ કરવાનો સમાવેશ થાય છે.
બે તબક્કામાં રમાશે રણજી ટ્રોફી
આ સાથે રણજી ટ્રોફી 2025-26ની શરૂઆતની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. રણજી ટ્રોફી આ વખતે 15 ઓક્ટોબરથી 28 ફેબ્રુઆરી સુધી બે તબક્કામાં રમાશે. પ્રથમ તબક્કો 15 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી ચાલશે, જ્યારે નોકઆઉટ મેચો 6 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી, 2026 સુધી રમાશે. વર્ષ 2026માં ફાઈનલ બાદ એક ટીમને આગામી સીઝન માટે પ્રમોટ કરવામાં આવશે, જ્યારે એક ટીમને ડિમોશન કરવામાં આવશે.
આ નિર્ણય 2018-19 સીઝનમાં 9 નવી ટીમો (જેમાં નોર્થ-ઇસ્ટ ટીમોનો પણ સમાવેશ થાય છે) ને રણજી ટ્રોફીમાં સામેલ કર્યા પછી લેવામાં આવ્યો છે. ગયા સિઝનમાં મેઘાલયે રણજી ટ્રોફીના એલિટ ડિવિઝનમાં તેની તમામ 7 મેચ ગુમાવી હતી, જે દર્શાવે છે કે આ ફેરફાર ઘરેલું ક્રિકેટના પ્રીમિયમ સ્તરને અસર કરી રહ્યો હતો. આ પ્રમોશન-ડિમોશન સિસ્ટમ રેડ બોલ ક્રિકેટમાં તમામ વય-જૂથ ક્રિકેટ ટુર્નામેન્ટમાં લાગુ પડશે.
ગઈ સિઝનમાં, દુલીપ ટ્રોફીમાં ટીમોનું નામ ઇન્ડિયા એ, ઇન્ડિયા બી, ઇન્ડિયા સી અને ઇન્ડિયા ડી રાખવામાં આવ્યું હતું. હવે, BCCI એ નિર્ણય લીધો છે કે ટીમો ઝોનના આધારે દુલીપ ટ્રોફીમાં પરત ફરશે. આનો અર્થ એ છે કે આગામી સિઝનમાં, ઇન્ડિયા વેસ્ટ, ઇન્ડિયા ઇસ્ટ, ઇન્ડિયા સાઉથ, ઇન્ડિયા નોર્થ, ઇન્ડિયા સેન્ટ્રલ અને ઇન્ડિયા નોર્થ ઇસ્ટની ટીમો દુલીપ ટ્રોફીમાં ભાગ લેશે. દુલીપ ટ્રોફી 28 ઓગસ્ટથી શરૂ થશે.
આ ટૂર્નામેન્ટ્સમાં પણ ફેરફાર
આ ઉપરાંત બીસીસીઆઈ દ્વારા સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (ટી-20) અને સિનિયર મહિલા (ટી-20) માં નોકઆઉટ તબક્કાને બદલે સુપર લીગ સ્ટેજ ઉમેરાશે, જે વધુ સ્પર્ધાત્મક મેચો સુનિશ્ચિત કરશે. તેમજ વિજય હજારે ટ્રોફી (ODI), સિનિયર મહિલા ODI ટ્રોફી અને પુરુષોની અંડર-23 સ્ટેજ-એ ટ્રોફી ટૂર્નામેન્ટ્સમાં 4 એલિટ ગ્રુપ, એક પ્લેટ ગ્રુપ મોડેલ લાગુ કરાશે, જે ટીમોને તેમના પ્રદર્શનના આધારે જુદા પાડવામાં મદદ કરશે.