નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. લોકો નવા વર્ષને લઈને ખુબજ ખુશ છે. પરતું ઘણા લોકો દલીલ કરતાં હોય છે કે આ નવું વર્ષ તો પશ્ચિમી કેલેન્ડર મુજબ છે. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી પશ્ચિમી કેલેન્ડર મુજબ નવા વર્ષના વધામણા હિન્દુઓ પણ ઉત્સાહભેર કરી રહ્યા છે, ત્યારે ભારતીયો પણ પોતાની સંસ્કૃતિ ધીમે ધીમે ભૂલી રહ્યા હોય તેમ કહેવું ખોટુ નથી. 31મી ડિસેમ્બરની રાત્રે દુનિયાના વિવિધ ભાગોમાં રંગા રંગ નવું વર્ષ ઉજવાય છે. ભારત વિવિધ સંસ્કૃતિ, પરંપરાઓ અને ધર્મો ધરાવતો દેશ હોવાથી દર મહિને એક નવું વર્ષ ઉજવાય છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે ભારતનો પાડોશી દેશ નેપાળ સંપૂર્ણ પણે હિન્દુ કેલેન્ડરને અનુસરે છે. તે ગ્રેગોરિયન કેલેન્ડરને અનુસરતો નથી. આથી ત્યાં પહેલી જાન્યુઆરીએ નવું વર્ષ ગણાતું નથી.ભારતમાં હિન્દુ ધર્મના લોકોની બહુમતિ હોવા છતાં હિન્દુ કેલેન્ડરના સ્થાને આંતરરાષ્ટ્રીય ગણાતા અંગ્રેજી મહિનાઓને જ રોજીંદા વ્યહવારોમાં અનુસરવામાં આવે છે. જયારે નેપાળમાં હિન્દુ કેલેન્ડરને જ અનુસરવામાં આવે છે.
હિન્દુ કેલેન્ડર એ વિક્રમ સંવત કેલેન્ડરના નામે પ્રચલિત છે જેનો ઉપયોગ ભારતમાં સદીઓથી થાય છે. આઝાદી પછી જયારે કેલેન્ડરની પસંદગી કરવાની હતી ત્યારે વડાપ્રધાન જવાહરલાલ નેહરુની સરકારે ગ્રેગોરિયન સાથે વિક્રમ સંવતને પણ અપનાવી હતી. ગ્રેગોરિયન કેલેન્ડરની અંદર ગણતરી સૂર્ય અનુસાર કરવામાં આવે છે, જ્યારે વિક્રમ સંવત કેલેન્ડરની અંદર ગણતરી ચંદ્ર અનુસાર કરવામાં આવે છે. વર્ષની લંબાઈ, જે સૂર્યની આસપાસ પૃથ્વીનાં પરિભ્રમણનાં સમયગાળાને અનુરૂપ છે, તે ગ્રેગોરિયન કેલેન્ડરમાં વધુ સારી છે, જ્યારે રસપ્રદ રીતે, વિક્રમ સંવતમાં ગણતરીઓ વધુ સચોટ છે. વિક્રમ સંવત કેલેન્ડરમાં, તારીખોના સમન્વય માટે વધુ મહિનાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ જ કારણ છે કે વિક્રમ સંવતની એક તિથિ એક વર્ષ પછી બરાબર નથી આવતી, તેમાં થોડા દિવસોનો તફાવત હોય છે. જ્યારે ગ્રેગોરિયન કેલેન્ડરમાં, આ સંકલન ફક્ત લીપ વર્ષ સાથે જ થાય છે.
નેપાળે અંગ્રેજોની ગુલામી પણ ભોગવી નહોતી
આંતરરાષ્ટ્રીય સ્તરે બીજા દેશો સાથે તાલમેલ ગોઠવવા માટે ભારતે ગ્રેગોરિયન કેલેન્ડરને અપનાવ્યું હતું. ભારતમાં અંગ્રેજોએ 250 વર્ષ સુધી શાસન કર્યું તેના અસરરૂપે પણ દેશમાં ગ્રેગોરિયન કેલેન્ડર પ્રચલિત થયું. નેપાળની વાત કરીએ તો તે દુનિયાનો એક માત્ર એવો દેશ છે જે કોઇનો પણ ગુલામ રહ્યો નથી. નેપાળે અંગ્રેજોની ગુલામી પણ ભોગવી નહોતી. આથી તેને વારસામાં કોઇ પણ પ્રકારના અંગ્રેજી રિવાજ પાળવાના થયા નહોતા. આથી નેપાળ દાયકાઓથી હિન્દુ કેલેન્ડરને અનુસરતું રહ્યું છે. વિક્રમ સંવત કેલેન્ડર ગ્રેગોરિયનની સરખામણીમાં 57 વર્ષ આગળ છે.
નેપાળમાં વિક્રમ સંવતનો સત્તાવાર ઉપયોગ ઇ.સ. 1901માં રાણા વંશે શરુ કર્યો હતો. હિન્દુ ધર્મનું આ કેલેન્ડર મધ્ય ભારતના ઉજજૈન રાજ્યમાં ઇ.સ. પૂર્વે 102માં જન્મેલા મહાન શાસક વિક્રમાદિત્યના નામ પર છે. કેલેન્ડર ચંદ્રની સ્થિતિ અને પૃથ્વીની સૂર્યને પ્રદક્ષિણાના સમય પર આધારિત છે.
વિક્રમ સંવતની શરૂઆત કેવી રીતે થઈ?
વિક્રમ સંવતના જનક વિક્રમાદિત્ય રાજા ભર્તુહરિના નાના ભાઈ હતા. ભર્તુહરિને તેમની પત્નીએ દગો આપ્યો ત્યારે તેમણે રાજ્ય છોડીને સંન્યાસ લઈ લીધો અને રાજ્ય વિક્રમાદિત્યને સોંપી દીધું. માન્યતા છે કે રાજા વિક્રમાદિત્યએ પોતાની પ્રજાનું દેવું માફ કરી દીધું હતું, જેથી લોકોની આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જાય. તે સમયે જે રાજા પોતાની પ્રજાનું દેવું માફ કરી દેતો હતો, તેના નામ પરથી જ સંવત પ્રચલિત થઈ જતું હતું. આ કારણે તેના નામથી વિક્રમ સંવત પ્રચલિત થઈ ગયું.
